

👉ભરૂચના નિવૃત્ત અધિકારી કાંતિભાઈ રાણા છેલ્લા 30 વર્ષથી બાળકોને વિનામૂલ્ય શિક્ષણ આપી રહ્યા છે. ભરૂચ જિલ્લા માટે આ એક ગૌરવની વાત છે.
👉નિવૃતિ પછીની સેવાકીય પ્રવૃતિ, 83 વર્ષની ઉંમરે આ વ્યક્તિ બાળકોને મફતમાં ભણાવે છે.ભરૂચમાં નિવૃત્ત અધિકારી કાંતિભાઇ રાણા છેલ્લા 30 વર્ષથી બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપી રહ્યાં છે. આજ સુધીમાં 300 વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું છે. 75 વર્ષની ઉંમરે સંસ્કૃતની ચાર પરીક્ષા પાસ કરી છે.
👉ભરૂચ શહેરના મકતમપુર રોડ પર ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા 83 વર્ષીય કાંતિભાઈ રાણા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપી રહ્યાં છે. હાલ કાંતિભાઈ રાણા ભરૂચના ગરીબ વિસ્તારોમાં જઈને ગરીબ, મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓને ભણાવે છે.
👉કાંતિભાઈ રાણા હાલ ભરૂચના તુલસીધામ વિસ્તારમાં આવેલા નવા બોરભાઠા બેટના મહાકાળી ફળિયામાં જઈને એક મકાનમાં 10 વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. આ માટે એક ભાઈ વિદ્યાર્થીઓ માટે 2 કલાક મકાન આપ્યું છે. કાંતિભાઇ સાંજે 5.30 થી 7.30 કલાક વિદ્યાર્થીઓને ભણાવવા માટે આવે છે.
👉કાંતિભાઈ રાણા ધોરણ 6 થી 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણિત, અંગ્રેજી વિષય ભણાવે છે.તેઓ વિદ્યાર્થીઓને રવિવાર કે તહેવારમાં પણ રજા આપતા નથી. કાંતિભાઈ રાણા સમાજ સેવા માટે કોઈ વાર શાંતિનિકેતન, સચિદાનંદ, યુનિયન, રૂંગટા શાળામાં સેવા આપવા પણ જાય છે.
👉કાંતિભાઇ નાનપણમાં બીજા પાસેથી પુસ્તક લઈને ભણ્યા.કાંતિભાઈના જીવનની વાત કરીએ તો તેઓ પોતે ગરીબ પરિવારમાંથી આવે છે. કાંતિભાઈએ નાનપણમાં બીજાઓ પાસેથી પુસ્તકો લઈને અભ્યાસ કર્યો હતો. તેથી જ તેઓને આ સેવા કરવાની પ્રેરણા મળી છે. કાંતિભાઈ રાણા હાલ રાણા સમાજના ઉપપ્રમુખ છે.
👉75 વર્ષની ઉંમરે સંસ્કૃતની ચાર પરીક્ષા પાસ કરી
👉કાંતિભાઈ રાણા પોતે 11 ધોરણ પાસ છે. કાંતિભાઈ રાણા 75 વર્ષની વયે સંસ્કૃતની ચાર પરીક્ષા પાસ કરી છે. કાંતિભાઈએ પેપર બોય તરીકે પણ કામ કર્યું છે. ત્યારબાદ ટેલિફોન ઓપરેટર તરીકે નોકરી કરી હતી. બાદ ટેલિફોન સેક્ટરમાં વરિષ્ઠ અધિકારી તરીકે અલગ અલગ વિભાગમાં સેવા આપી છે.
👉30 વર્ષ પહેલા વિનામૂલ્યે શિક્ષણની શરૂઆત
કાંતિભાઈ રાણાએ વર્ષ 1990માં વિનામૂલ્યે શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી. વિદ્યાર્થીઓને શીખવાડવા માટે પોતે પણ રાત્રીના 1.30 કલાક સુધી વાંચન છે. પહેલા ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં ભણાવતા હતા. સવારના સમયે વિદ્યાર્થીઓને ભણાવતા હતા.
ત્યારબાદ 10.30 કલાકથી 6 કલાક સુધી નોકરી કરતા હતા. પહેલા 20 વિદ્યાર્થીઓને ભણાવતા હતા. ત્યાર પછી અલગ અલગ સ્થળોએ ગરીબ વિસ્તારોમાં જઈને વિદ્યાર્થીઓને ભણાવવાની શરૂઆત કરી હતી.
👉અત્યાર સુધીમાં નિવૃત અધિકારીએ 300થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપ્યું
કાંતિભાઈ રાણાએ મુસ્લિમ વિદ્યાર્થીઓને પણ શિક્ષણ આપ્યું છે. વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરે છે. અમેરિકાથી આવેલી એક મહિલા પણ તેઓની મદદે સેવાકાર્ય માટે આવે છે. વિદ્યાર્થીઓને ગુજરાતી, સંસ્કૃત અને વિજ્ઞાન વિષય શીખવાડે છે. કાંતિ રાણાએ અત્યાર સુધીમાં કુલ 300થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપ્યું છે. શિક્ષા પામેલ વિદ્યાર્થીઓ હાલ ONGC સહિતની કંપનીઓમાં નોકરી કરે છે. કોઈ ડોક્ટર,એન્જિનિયર બની ગયા છે.





